Ambalal Patel Agahi, Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે. ઠંડા પવન ફૂંકાતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભાવનગર જિલ્લાના અમુક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે માવઠું પણ પડ્યું હતું. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel Agahi) આગામી દિવસોમાં ફરી એકવાર હવામાનમાં પલટાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે અગાઉ 11 અને 12 એપ્રિલના રોજ હવામાનમાં ફેરફારની આગાહી કરી હતી. હવે તેમણે નવી આગાહીમાં જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે.
22 થી 24 એપ્રિલ વચ્ચે છાંટાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી 14 એપ્રિલથી રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીની શરૂઆત થશે. ત્યારબાદ 18 એપ્રિલથી 24 એપ્રિલ સુધીના સાત દિવસો દરમિયાન ગુજરાતના જુદા-જુદા ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી 22 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન મધ્ય પ્રદેશની સરહદ નજીકના ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વાદળો ઘેરાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે.
મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિના માટે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. ભારતમાં ચોમાસાનો પ્રારંભ ગંગા-યમુનાના મેદાનો કેટલા તપે છે તેના પર નિર્ભર કરે છે. જો વાવાઝોડાની અસરથી ગંગા-યમુનાના મેદાનો ઠંડા પડે તો તેની અસર શરૂઆતના ચોમાસા પર જોવા મળી શકે છે.