પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, જાણો ક્યારે આવશે ચોમાસું

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે મહત્વની જાણકારી આપી છે.

Published By:

Follow Us:

Paresh Goswami Weather Forecast For Gujarat: સમગ્ર ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે મહત્વની જાણકારી આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ભલે આ વખતે ચોમાસું વહેલું બેસી ગયું હોય અને ગુજરાતમાં પણ વહેલા આવવાની આશા હોય, પરંતુ હાલ નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચીને નિષ્ક્રિય થઈ ગયું છે. આથી, ખેડૂતો અને સામાન્ય લોકોના મનમાં એક જ સવાલ છે કે, આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

ચોમાસું ફરી સક્રિય ક્યારે થશે?

પરેશ ગોસ્વામીએ આ પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, 16મી જૂન આસપાસ અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમ બનતા જ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે, શરૂઆતમાં આ સિસ્ટમનો મુખ્ય લાભ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્ રદેશને અડીને આવેલા વિસ્તારોને જ મળશે. અન્ય વિસ્તારોને કદાચ બહુ ફાયદો નહીં થાય.

ગુજરાતના કયા વિસ્તારોને લાભ મળશે?

ગોસ્વામીએ વધુમાં સ્પષ્ટતા કરી કે, આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે. જેના પરિણામે, 16થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરને પણ આ વરસાદી લાભ મળી શકે છે. તેમણે ઉમેર્યું કે, આ સિસ્ટમ ચોમાસાને ગતિ ચોક્કસ આપશે, પરંતુ કદાચ સમગ્ર ગુજરાતને તેનો મોટો ફાયદો નહીં થાય.

ગુજરાતમાં મેઘમહેરની મુખ્ય તારીખ કઈ?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો લાભ 22થી 28 જૂન સુધીના દિવસોમાં મળી શકે છે. જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જૂન મહિનામાં કદાચ વરસાદથી વંચિત રહી શકે છે. જો આવું થાય, તો તેમને જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસાનો અનુભવ થઈ શકે છે. આ વખતનું ચોમાસું કદાચ થોડું મોડું થઈ શકે છે, પરંતુ તે નબળું નહીં પડે.