Gujarat Weather (આજનું હવામાન): રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી સપ્તાહના હવામાન અંગે આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે, એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, 19મી એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયાકિનારાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે મહત્તમ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, ત્યારબાદના બે દિવસોમાં ફરી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે 18, 19 અને 20 એપ્રિલના રોજ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
18 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ.કે. દાસે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકિનારે ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાશે અને ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે દરિયાકિનારે વધુ પવન ફૂંકાઈ શકે છે.
અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં અહીં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે.