Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં અખાત્રીજ પછી ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે અને પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
હાલમાં દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને બફારા બાદ સાંજના સમયે ઠંડા પવનથી લોકોને આંશિક રાહત મળી રહી છે. જોકે, અંબાલાલ પટેલની આગાહી મુજબ, આવતા અઠવાડિયાથી વાતાવરણમાં મોટો પલટો આવશે. ખાસ કરીને 8મી મેની આસપાસ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાતાવરણ બદલાશે. આ વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અખાત્રીજથી શરૂ કરીને 8મી મે સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં પણ ભારે આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રિ-મોન્સુન ગતિવિધિ મે મહિનામાં પણ ચાલુ રહી શકે છે. તારીખ 10મી મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે, અને 25મી મે પછી એક સાયક્લોન અથવા ચક્રવાત પણ સર્જાઈ શકે છે. જો આ સિસ્ટમ બનશે તો તેની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.