Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં હાથ ધરેલું ગુપ્ત ઓપરેશન “ઓપરેશન સિંદૂર” (Operation Sindoor) સંપૂર્ણપણે સફળ રહ્યું છે. એર સ્ટ્રાઈક બાદ તમામ ભારતીય સૈનિકો કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે પરત ફર્યા છે. પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના ઠીક 15 દિવસ બાદ, ભારતીય સેનાએ મંગળવારે રાત્રે લગભગ 1:44 વાગ્યે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણાઓ પર જડબાતોડ હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ બહાવલપુરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ઠેકાણા સહિત કુલ નવ આતંકવાદી કેમ્પોને બોમ્બમારો કરીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ રાત્રે એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે, ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં મિસાઈલોથી હુમલો કર્યો છે. ભારતીય સેનાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ કાર્યવાહી માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓ પર જ કરવામાં આવી હતી.
ભારતીય સેનાએ પોતાની સત્તાવાર X હેન્ડલ પર ટૂંકું પરંતુ પ્રભાવશાળી નિવેદન આપતા લખ્યું હતું કે, “ન્યાય થયો, જય હિંદ.”
ભારતના આ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરી વિસ્તારોમાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન સરકારનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારતે 6 સ્થળોએ હુમલો કર્યો છે, જેમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે અને 35 ઘાયલ થયા છે.