Chhattisgarh Road Accident: છત્તીસગઢના પાટનગર રાયપુરમાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાયપુર-બાલોદાબાજાર રોડ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલરની જોરદાર ટક્કર થતાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક નવજાત બાળકની છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહેલા લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 9 મહિલાઓ, 2 નાની બાળકીઓ, એક કિશોર અને એક માત્ર 6 મહિનાનું નવજાત બાળક પણ સામેલ છે. આ તમામ લોકો છત્તીસગઢના ચટૌદ ગામના રહેવાસી પુનીત સાહૂના સંબંધીઓ હતા, જેઓ એક ખુશીના પ્રસંગમાં સામેલ થઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે કાળમુખા અકસ્માતે તેમની જિંદગી છીનવી લીધી.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 12થી વધુ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ હાલમાં અકસ્માતનાં કારણોની તપાસ કરી રહી છે.