Caste Census: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરી આગામી મુખ્ય વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જ કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આજે નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થવો જોઈએ.”
તેમણે ભૂતકાળની કોંગ્રેસ સહિતની સરકારો પર આક્ષેપ લગાવતા કહ્યું કે, “તેમણે હંમેશા જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. આઝાદી પછી કોઈપણ વસ્તી ગણતરી પ્રક્રિયામાં જાતિના આંકડા એકત્રિત કરવામાં આવ્યા નથી.” તેમણે યાદ અપાવ્યું કે 2010માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લોકસભામાં જાતિ વસ્તી ગણતરીને મંત્રીમંડળ સમક્ષ મૂકવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ માત્ર એક ઔપચારિક સર્વેક્ષણ જ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ જાતિ વસ્તી ગણતરીનો ઉપયોગ માત્ર રાજકીય સાધન તરીકે કર્યો છે. વસ્તી ગણતરી એ બંધારણની યુનિયન યાદીનો કેન્દ્રીય વિષય છે. તેમણે એમ પણ જણાવ્યું કે કેટલાક રાજ્યો દ્વારા કરવામાં આવેલા જાતિ આધારિત સર્વેક્ષણો બિન-પારદર્શક રીતે હાથ ધરવામાં આવ્યા છે, જેનાથી સમાજમાં મૂંઝવણ ફેલાઈ છે. આથી, સરકારે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે જેના દ્વારા જાતિગત વસ્તી ગણતરી પારદર્શક રીતે થઈ શકે અને સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત રહે.”
ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 1951થી આ પ્રક્રિયા ચાલી આવી છે, પરંતુ 2021માં કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવી હતી. રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ને અપડેટ કરવાનું કામ પણ બાકી છે. નવી વસ્તી ગણતરીની તારીખ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેનો ડેટા 2026માં જાહેર કરવામાં આવી શકે છે.
વસ્તી ગણતરી સરકાર માટે નીતિઓ ઘડવા અને દેશના સંસાધનોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિપક્ષ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો અન્ય પછાત વર્ગો (OBC)ની કુલ સંખ્યા જાણવા માટે જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા. હવે મોદી સરકારના આ નિર્ણયથી આ માંગણી પૂર્ણ થશે. ભારતમાં પહેલી વસ્તી ગણતરી 1872માં અને આઝાદી પછી પહેલી 1951માં કરવામાં આવી હતી, જ્યારે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.
માહિતી અનુસાર, 2011માં ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી, જ્યારે લિંગ ગુણોત્તર 1000 પુરુષો દીઠ 940 મહિલાઓ હતી અને સાક્ષરતા દર 74.04 ટકા હતો.