Rajkot Demolition: રાજ્ય સરકારના આદેશને પગલે રાજકોટ પોલીસે આજે વહેલી સવારે ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસાથે 38 જેટલા બુટલેગરોના અંદાજે 55 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓએ કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર કબજો જમાવ્યો હતો.
પોલીસે સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા (મનપા) અને પીજીવીસીએલના અધિકારીઓની ટીમ સાથે મળીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં કુલ 38 ગુનેગારોના અંદાજે ₹6.52 કરોડની કિંમતના 2610 ચોરસ મીટર જેટલી જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો.
આ ડિમોલિશન રૈયાધાર પરશુરામ ટેકરી નજીકના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ વિસ્તાર રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આવે છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે પોલીસ અને મનપાએ સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આરોપી અજય માનસિંગ પરસોંડાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું હતું અને જેના પર અપહરણ, મારામારી અને વાહનચોરી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ કાર્યવાહી અંગે માહિતી આપતા રાજકોટ ઝોન 2ના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશક (ડીજી) સાહેબની સૂચના અનુસાર રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમના ગેરકાયદે વીજ કનેક્શન કાપવા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 ગુનેગારોના 55થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
આ આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે તો 10થી વધુ ગુના દાખલ છે અને તેમની સામે પાસા જેવી અટકાયતી કાર્યવાહી પણ કરવામાં આવી છે. ડીસીપી બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોની કમર તોડવા માટે હાલ આ કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે કોઈ વારંવાર ગુના કરશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.