Amrit Bharat Station Scheme: PM મોદી આજે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ₹160 કરોડના ખર્ચે કાયાકલ્પ, સંસ્કૃતિ અને સુવિધાનો સંગમ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે "અમૃત ભારત યોજના" હેઠળ 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે.

Published By:

Updated:

Follow Us:

Narendra Modi

Amrit Bharat Station Scheme: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ દેશભરના 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ₹160 કરોડથી વધુના ખર્ચે આ સ્ટેશનોનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો હવે માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ જ નહીં, પરંતુ તેમાં ગુજરાતની સમૃદ્ધ કલા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ઝલક પણ જોવા મળશે.

ગુજરાતના આ 18 સ્ટેશનો બનશે આધુનિક

ગુજરાતના જે 18 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમાં ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલિતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્તરણ, કોસંબા, ડેરોલ અને કનાલુસનો સમાવેશ થાય છે. દરેક સ્ટેશન પર ગુજરાતની સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી થીમ આધારિત ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે, જે મુસાફરોને એક નવો અનુભવ કરાવશે.

અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો

આ અપગ્રેડેડ રેલવે સ્ટેશનો મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. તેમાં ભવ્ય પ્રવેશદ્વાર, ઉચ્ચ-ગુણવત્તાવાળી લાઇટિંગ, આરામદાયક વેઇટિંગ હોલ, સુવિધાયુક્ત ટિકિટ કાઉન્ટર, સુધારેલા શૌચાલય અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર આશ્રયસ્થાનો, કોચ ક્યાં ઉભા રહેશે તેની માહિતી આપતી સિસ્ટમ (કોચ ગાઈડન્સ ડિસ્પ્લે બોર્ડ – CGDB) અને ડિજિટલ માહિતી પ્રદર્શનો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓ સૌનો સમાવેશ થાય અને સરળતાથી સુલભ બને તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

ડાકોર અને કરમસદ સ્ટેશનની વિશિષ્ટ ઓળખ

યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશન પર દિવ્યાંગ મુસાફરો માટે ખાસ પાર્કિંગથી માંડીને ધાત્રી (સ્તનપાન કરાવતી) મહિલા મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને ઘોડિયા જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્ટેશન પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા અને ભીંતચિત્રો દ્વારા શહેરની આધ્યાત્મિક ઓળખને સુંદર રીતે દર્શાવવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ પણ આધુનિક અને સૌંદર્યલક્ષી રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર પર વારસાથી પ્રેરિત એક મંડપ મુસાફરો માટે છાંયડો અને સ્વાગતભર્યો માહોલ પૂરો પાડે છે, જે સરદાર પટેલના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી ખાતે હાજર રહેશે

લીંબડી રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂબરૂ હાજર રહેશે. લીંબડી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1નું વિસ્તરણ અને ઊંચાઈમાં વધારો, નવા ટોઇલેટ બ્લોક્સ, દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ, GRP ભવનનું નિર્માણ, સર્ક્યુલેટિંગ એરિયામાં સુધારો, સુવ્યવસ્થિત પાર્કિંગ ક્ષેત્રનો વિકાસ, પ્રવેશ અને નિકાસ દ્વારનો પુનર્વિકાસ, મુસાફરો માટે જાહેરાત પ્રણાલીને મજબૂત બનાવવી, સ્ટેશનના પ્રવેશનું સૌંદર્યીકરણ, રવેશ લાઇટિંગની વ્યવસ્થા અને સૂચનાત્મક સાઇનબોર્ડની સ્થાપના જેવા અનેક સુધારા કરવામાં આવ્યા છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi