Shoolpaneshwar Mahadev Mela 2025: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા પવિત્ર શુલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 25 થી 27 એપ્રિલ, 2025 દરમિયાન પરંપરાગત અને ભાતીગળ ત્રિ-દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સુચારૂ વ્યવસ્થા અને અમલવારી માટે જિલ્લા કલેકટર એસ.કે. મોદીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં SOU અને વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અધિક કલેકટર ગોપાલ બામણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં ચૈત્ર માસ દરમિયાન માં નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા ચાલી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ પ્રવાસીઓની સતત ભીડ રહે છે. આ પરિસ્થિતિમાં શુલપાણેશ્વર મહાદેવના દર્શન માટે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. આ ભીડને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગ, વાહન વ્યવહાર, એસટી બસ સેવા, સ્ટોલ ફાળવણી, સ્વચ્છતા, દર્શન વ્યવસ્થા અને નર્મદા આરતી જેવી બાબતો માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ જણાવ્યું હતું કે, નર્મદા ઘાટ પર સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓ સલામત રહે તે માટે બેરિકેડિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઈટિંગ, નદીમાં મગરમચ્છની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતી અને તરવૈયાઓની ટીમ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે મેળામાં આવતા તમામ ભાવિકોને શાંતિપૂર્ણ રીતે મેળાનો આનંદ માણવા અને સાવધાની એ જ સલામતીના અભિગમને અનુસરવા અનુરોધ કર્યો હતો.