Six Die in Meshwo River in Nadiad: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં આજે બુધવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અમદાવાદના મામા-ફોઈના પાંચ બાળકો અને કનીજ ગામનો એક બાળક મળી કુલ છ લોકો નદીમાં ડૂબી ગયા હતા. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે નદીમાં નહાવા ગયેલા આ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બે કિશોર અને ચાર કિશોરીઓના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મહેમદાવાદના પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે, લાપતા બાળકોની શોધખોળ માટે ટીમ સતત કાર્યરત છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
મૃતકોમાં જીનલ, દિવ્યા સોલંકી અને ફાલ્ગુની (રહે. નરોડા, અમદાવાદ) અને ધ્રુવ (રહે. નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. જ્યારે ભૂમિકા (રહે. કનીજ) અને મયુર (રહે. નરોડા, અમદાવાદ)ના મૃતદેહો પણ મોડી રાત્રે મળી આવ્યા હતા.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને મામલતદાર પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્યે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જિલ્લા કલેક્ટર અમીત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ગામના સરપંચે જણાવ્યું હતું કે, મૃતકોમાંથી બે કનીજ ગામના રોહિતવાસના રહેવાસી હતા, જ્યારે અન્ય ત્રણ અમદાવાદથી વેકેશનમાં તેમના સંબંધીઓને ત્યાં આવ્યા હતા. આ તમામ છ લોકો બપોર બાદ નદીમાં નહાવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી આવતીકાલે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસ આ દુર્ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.