PM Surya Ghar Yojana: ‘ગ્રીન ગુજરાત’, પીએમ સૂર્ય ઘર યોજનામાં દેશમાં સૌથી મોટું યોગદાન

ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જામાં આગવી ઓળખ મજબૂત કરી છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતે દેશમાં સૌથી વધુ 34% યોગદાન આપ્યું છે. રાજ્યએ 2024-25 માટેના 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના લક્ષ્યાંકને સમય પહેલાં હાંસલ કર્યો છે.

Published By:

Updated:

Follow Us:

PM Surya Ghar Yojana 2025 | પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પોતાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનામાં ગુજરાતે સમગ્ર દેશમાં સૌથી વધુ, એટલે કે 34% યોગદાન નોંધાવ્યું છે. રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના સ્થાપનાના લક્ષ્યાંકને સમય પહેલાં જ હાંસલ કરી લીધો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 11 મે, 2025 સુધીમાં રાજ્યમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 3.36 લાખથી વધુ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતના 3.03 લાખ જેટલા ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી કુલ ₹2362 કરોડની સબસિડી પ્રાપ્ત થઈ છે.

પીએમ સૂર્ય ઘર યોજનાના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર 1.89 લાખ સોલર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન્સ સાથે બીજા ક્રમે, ઉત્તર પ્રદેશ 1.22 લાખ સાથે ત્રીજા ક્રમે, કેરળ 95 હજાર સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 43 હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે આવે છે.

આ સિદ્ધિ અંગે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને રાજ્ય સરકારની નીતિઓએ ગુજરાતને સોલર ઊર્જા ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરવાની તક આપી છે. જનભાગીદારી અને વહીવટી કાર્યક્ષમતાના કારણે આજે ગુજરાત આ યોજનામાં મોખરે છે.”

ગુજરાતમાં સ્થાપિત 3.36 લાખ સોલર રૂફટોપ સિસ્ટમ દ્વારા હાલમાં 1232 મેગાવોટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઊર્જા ઉત્પાદન પરંપરાગત વીજ ઉત્પાદનના 1834 મિલિયન યુનિટ જેટલું છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો અંદાજે 1284 મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ સોલર ઊર્જાના ઉપયોગથી વાતાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પીએમ સૂર્ય ઘર યોજના શું છે?

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાલિકોને તેમની છત પર સોલર પેનલ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી તેઓ 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ યોજના હેઠળ 3 kW સુધીની સિસ્ટમ પર ₹78 હજાર સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. જે ઘરમાલિકો પાસે પોતાની છત છે તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન છે અને https://pmsuryaghar.gov.in પર જઈને અરજી કરી શકાય છે.

ગુજરાતની આ સફળતા દર્શાવે છે કે યોગ્ય નીતિઓ, અસરકારક અમલીકરણ અને લોકોની સક્રિય ભાગીદારીથી કોઈપણ રાષ્ટ્રીય યોજનાને સફળ બનાવી શકાય છે. રાજ્ય સરકારે આ યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવ્યું, જેના પરિણામે આજે ગુજરાત સોલર ઊર્જા ક્ષેત્રે દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે.