Mines Shut in Chhota Udepur: છોટાઉદેપુર, એક આદિવાસી અને પછાત જિલ્લો, જ્યાં રોજગારીની તકો વધારવાને બદલે સરકારના નિર્ણયો રોજગારી ઘટાડી રહ્યા છે. વર્ષોથી ચાલતી 32 ડોલોમાઈટ ખાણોને પર્યાવરણ પ્રમાણપત્ર (એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ) ન આપવાથી ખાણો બંધ થઈ છે, જેના કારણે 20,000થી વધુ લોકો બેરોજગાર બન્યા છે. આ મુદ્દે નિરાકરણ માટે 6 સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્રો આપી રજૂઆત કરી છે.
છોટાઉદેપુરના વનાર, દડીગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી પાડલીયા સહિત 25 ગામોમાં 25 નાની અને 6 મોટી ડોલોમાઈટ ખાણો આવેલી છે. આ ખાણોને 2017-18માં જિલ્લા તંત્ર દ્વારા પર્યાવરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ 2023માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ તે રદ કર્યું. હવે પ્રમાણપત્ર રાજ્ય કક્ષાએથી મેળવવું પડશે.
ખાણ માલિકોના જણાવ્યા પ્રમાણે, ખાનગી રસ્તાઓ હોવા છતાં રસ્તાને કારણે પ્રમાણપત્રો રદ કરાયા. પરિણામે, ખાણો બંધ થતાં કાચો માલ ન મળવાથી ડોલોમાઈટ ફેક્ટરીઓ પણ બંધ થવાની કગારે છે. આ સમસ્યાના નિરાકરણ માટે મિનરલ મર્ચન્ટ એસોસિએશન, માઈન્સ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક એસોસિએશન અને મજૂર સંઘે સત્ત્કટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી અને આવેદનપત્ર આપી સમસ્યાનો ઉકેલ લાવવા માગણી કરી.
ઉલ્લેખનીય છે કે, ડોલોમાઈટ ઉદ્યોગ પર નિર્ભર આ વિસ્તારમાં ખાણો, માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં 20,000 મજૂરો અને કર્મચારીઓ કામ કરે છે, જેમની રોજગારી હવે જોખમમાં છે.