Bhavnagar Jagannath Rath Yatra 2025: ભાવનગર શહેરમાં આગામી જગન્નાથ રથયાત્રા પહેલાં સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને માતા સુભદ્રાજીની નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિઓ 32 વર્ષ બાદ બદલવામાં આવી છે.
શિવ વિહાર ટ્રસ્ટના હરપાલસિંહ રાણાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી, બલભદ્રજી, માતા સુભદ્રાજી અને સુદર્શન ચક્રના સ્તંભને દર 12 વર્ષે નવા બનાવવામાં આવે છે અને મંદિરમાં પધરાવવામાં આવે છે. આ વર્ષે આ ઘટનાને 30 વર્ષ પૂર્ણ થયા છે અને તેથી જ નવી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નવી મૂર્તિઓને મંદિરમાં પધરાવવા માટે આગામી 17મી મેના રોજ સવારે 11:00 વાગ્યે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં ત્રણ દિવસનો વિષ્ણુયાગ સહિતની ચલિત પૂજા વિધિ પણ કરવામાં આવશે. આગામી રથયાત્રામાં આ નવી અને દિવ્ય મૂર્તિઓ સાથે રથ શહેરના માર્ગો પર ફરશે, જેમાં ભાવનગરની જનતા દર્શન કરીને ધન્યતા અનુભવશે.
11 મહિના સુધી ચાલ્યું મૂર્તિઓનું નિર્માણ કાર્ય
હરપાલસિંહ રાણાએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને માતા સુભદ્રાજીની નવી મૂર્તિઓ તેમજ સુદર્શન ચક્રનું નિર્માણ કાર્ય સતત 11 મહિના સુધી મંદિરના પરિસરમાં જ ચાલ્યું હતું. રાજસ્થાનથી આવેલા કુશળ મારવાડી કારીગરો દ્વારા આ ત્રણેય મૂર્તિઓનું નિર્માણ પ્લાસ્ટના લીમડાના લાકડામાંથી કરવામાં આવ્યું છે. કરણી મંથન થયા બાદ હવે આ મૂર્તિઓની પૂજા વિધિ શરૂ થશે અને ત્યારબાદ તેમને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
આ વર્ષે રથયાત્રા સવારે 8 વાગ્યે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને શહેરના વિવિધ વિસ્તારો જેવા કે મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણીસર્કલ, સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર સર્કલ, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર, દેવરાજનગર, ભરતનગર અને અન્ય અનેક વિસ્તારોમાંથી પસાર થઈને રાત્રે 10 વાગ્યે પરત મંદિરે ફરશે. આ રથયાત્રા આશરે 17.5 કિલોમીટરનો લાંબો રૂટ કવર કરશે.
શિવજીની કૃપાથી થયું મંદિરનું નિર્માણ
ઉલ્લેખનીય છે કે, શ્રી ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના 22મી મે, 1972ના રોજ સંસ્થાના સભ્યો અને તેમના મિત્રોના સહકાર તેમજ શિવજીની કૃપાથી થઈ હતી. સંત બજરંગદાસ બાપાના વરદ હસ્તે અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ મંદિર ધર્મપ્રેમી ભાઈ-બહેનો માટે એક મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે, જ્યાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સત્સંગ હોલ, સંત વિશ્રામ ગૃહ, અન્નક્ષેત્ર અને જળસેવા કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે, જે ભાવનગરના લોકો માટે ધાર્મિક અને સામાજિક રીતે ઉપયોગી છે.