Deesa Fire Updates: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 શ્રમિકોના મોત, માલિકની ધરપકડ

Deesa Factory Fire: પોલીસ પાઇલોટિંગમાં એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્યપ્રદેશ તરફ રવાના, ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 21 લોકોના મોત.

Follow Us:

Deesa Fire

Gujarat Firecracker Blast Updates: બનાસકાંઠાના ડીસા (Deesa)માં ઢુંવા રોડ પર ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory) અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગ લાગવાના કારણે 21 શ્રમિકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ કિશોરોનો પણ સમાવેશ થાય છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા. ઘટના બાદ પોલીસે ફેક્ટરીના માલિક દિપક મોહનાની ઇડરથી ધરપકડ કરી છે, જ્યારે તેના પિતા ખૂબચંદ મોહના ફરાર છે. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાત્રે 2 વાગ્યે મધ્ય પ્રદેશના અધિકારીઓને મૃતદેહો સોંપવામાં આવશે.

ડીસા કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી

ડીસા કેસમાં SIT રચવામાં આવી છે, જે ડીવાયએસપીની આગેવાની હેઠળ બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

  • DySP સી.એલ.સોલંકી (ડીસા)- તપાસ અધિકારી
  • PI વી.જી. પ્રજાપતિ (ડીસા રુરલ પોલીસ સ્ટેશન)
  • PI એ.જી. રબારી (એસ.ઓ.જી., બનાસકાંઠા)
  • PSI એસ.બી.રાજગોર (LCB, બનાસકાંઠા)
  • PSI એન.વી. રહેવર (પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)

પીડિતો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને સહાય જાહેર

મૃતકોના પરિવારજનો માટે 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દ્વારા PMNRFમાંથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશના મૃતકોની યાદી

  • રાકેશભાઈ સત્યાનારાયણભાઈ નાયક (હંડીયા)
  • સુરેશભાઈ અમરસિંહ નાયક (હંડીયા)
  • વિજયભાઈ નાયક,ઉંમર-23 (હંડીયા)
  • વિષ્ણુભાઈ સત્યનારાયણભાઈ નાયક (હંડીયા)
  • ધનરાજભાઈ સંતોષભાઈ નાયક (હંડીયા)
  • દલીબેન રાકેશભાઈ નાયક
  • કિરણબેન રાકેશભાઈ નાયક
  • મેહુલભાઈ શંકરભાઈ લુહાર
  • ગુડ્ડીબાઈ અમરસિંહ નાયક
  • લખન ગંગારામભાઈ નાયક (સિદ્ધલપુર)
  • લખનની માતા અને ગંગારામભાઈની પત્ની
  • લખનની મોટી બેન, ઉંમર-13 વર્ષ
  • લખનનો ભાઈ

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની ફટાકડા ફેક્ટરીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.

બ્લાસ્ટના કારણે ગોડાઉનની છત થઈ હતી ધરાશાયી

મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર-દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જેને હટાવવા માટે JCBની મદદ લેવામાં આવી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ શ્રમિકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાની શક્યતા

માહિતી મળી રહી છે કે, તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર, આ શ્રમિકો તાજેતરમાં પૈસા કમાવા માટે અહીં આવ્યા હતા અને મજૂરી કરતા હતા. મૃતકોની ઓળખ ઓળખવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે શું કહ્યું?

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું, “આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં એક ભયાનક વિસ્ફોટની માહિતી મળી. ફાયર વિભાગની ટીમે તરત જ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો છે.”

CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું, “ડીસામાં ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવી અને સ્લેબ ધરાશાયી થવાના કારણે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. આ દુઃખદ સમયે મારી આત્મીય સંવેદનાઓ મૃતકોના પરિવારજનો સાથે છે. હું રાહત-બચાવ અને સારવારના કાર્યને લઈને વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.”

સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં શું કહ્યું?

સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, “નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. રાજકોટ પછી આ બીજી ગંભીર દુર્ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ખામીઓ આ પરિપ્રેક્ષ્યમાં જોવા મળી છે. મંજૂરી આપતી વખતે કયા માપદંડો પર ધ્યાન આપવામાં આવ્યું, તે પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે, અને એમના પરિવારજનોને ન્યાય મળે તે માટે હું એક ઉચ્ચ કમિટીની રચના કરવા માટે રજૂઆત કરીશ. જો રાજ્ય સરકારે રાજકોટ પછી યોગ્ય કાર્યવાહી કરી હોત, તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. હું અપેક્ષા રાખું છું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “અતિશય દુઃખદ સમાચાર મળ્યા છે કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી 17 વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે, જેમ કે સુરતનું તક્ષશિલા કે રાજકોટનો અગ્નિકાંડ, જેમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને આ બાબતે કોઈ ચિંતાનું આભાર , જે દુઃખદ છે.”

આ પણ વાંચો

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi