6th & 7th Pay Commission: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ મોંઘવારી ભથ્થાની 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીની ત્રણ મહિનાની તફાવતની રકમ એપ્રિલ, 2025ના પગાર સાથે એક હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય મળીને કુલ 4.78 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને મળશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ 235 કરોડ રૂપિયાની ચુકવણી કરશે અને વધારાના વાર્ષિક 946 કરોડ રૂપિયાની ચુકવણી પગાર-પેન્શન પેટે થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગને જરૂરી આદેશો કરવાની સૂચનાઓ આપવામાં આવી છે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.