ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાના નામે થશે

ગુજરાત સરકારે તમામ સરકારી પ્રાથમિક શાળાની જમીન શાળાના નામે કરવા આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગે તમામ જીલ્લાઓને ઉનાળુ વેકેશન દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે. ભૂલ થાય તો જિલ્લા અધિકારી જવાબદાર રહેશે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Primary Schools: ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓની જમીન તાત્કાલિક શાળાના નામે કરવા આદેશ આપ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. ઉનાળુ વેકેશન દરમિયાન આ કામગીરી પૂરી કરવાની સૂચના અપાઈ છે. જો કોઈ શાળાની જમીન નામે નહીં થાય તો તેના માટે જિલ્લાના અધિકારીઓ સીધા જવાબદાર રહેશે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં હજુ પણ સરકારી પ્રાથમિક શાળાઓની જમીન બીજાના નામે છે અથવા તો શાળાઓ પર ગેરકાયદે દબાણ છે. આથી સરકારે ફરીથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને આદેશ કર્યો છે કે શાળાની જમીન શાળાના નામે કરવાની કામગીરી તાત્કાલિક પૂરી કરે.

પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ ડીપીઈઓ અને વહીવટી અધિકારીઓને જણાવ્યું છે કે તેઓ જાતે જમીનની માલિકીની અત્યારની સ્થિતિ તપાસે. જે શાળાઓની જમીન શાળાના નામે અથવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના નામે હોય, તેની યાદી બનાવી જમીન ફાળવણી હુકમ અને 7-12ના ઉતારા સહિતના તમામ પુરાવા સાથે ફાઈલ બનાવવાની રહેશે.

વધુમાં, જે સરકારી પ્રાથમિક શાળાની જમીન શાળાના નામે નથી અને સરકારી પડતર, ગૌચર, ગામતળ, જંગલ વિભાગ કે સરકારના બીજા કોઈ વિભાગ કે સંસ્થાના નામે હોય, તો તે જમીનમાં માલિક અથવા કબજેદાર તરીકે શાળાનું નામ દાખલ કરવા તરત જ અરજી કરવાની રહેશે.

દાનમાં કે ભેટમાં મળેલી જમીનના કેસમાં મહેસૂલી રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ થાય અને જમીન શાળાના નામે થાય અથવા કબજેદાર તરીકે શાળાનું નામ દાખલ કરવાની કામગીરી કરવાની રહેશે. જો કોઈ સરકારી શાળાની જમીન નામે ન હોય તો આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વેકેશન દરમિયાન અરજી કરી પ્રક્રિયા પૂરી થઈ છે કે નહીં તેની ખાતરી ડીપીઈઓએ કરવાની રહેશે.

સરકારે ભવિષ્યમાં સરકારી શાળાની જમીનમાં કોઈ પણ વિવાદ કે દબાણ ન થાય તેનું ધ્યાન રાખવા પણ આદેશ કર્યો છે. જો જમીન નામે કરવાની કાર્યવાહી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો થશે તો આચાર્ય, બીટ નિરીક્ષક, ટીપીઈઓ અને ડીપીઈઓ સહિતના અધિકારીઓની અંગત જવાબદારી નક્કી કરાશે. આ નિર્ણયથી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓની જમીનની માલિકી સ્પષ્ટ થશે અને ભવિષ્યના વિવાદો ટાળી શકાશે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi