GSRTC Volvo Bus Tour Packages: રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી, ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવેથી, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરવા અને નડાબેટ, વડનગર તેમજ મોઢેરા જેવા સ્થળોની મુલાકાત લેવા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે.
આ પહેલ રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની સગવડભરી અને પોસાય તેવી કિંમતે મુલાકાત લેવામાં મદદરૂપ થશે. આ નિર્ણયથી પ્રવાસનને વધુ વેગ મળશે. આવી સ્થિતિમાં, જાણો સોમનાથ દર્શન ટુર પેકેજ, નડાબેટ સીમા દર્શન અને મોઢેરા સૂર્ય મંદિરની એસી વોલ્વો બસ સેવાની તમામ મહત્વપૂર્ણ જાણકારી.
સોમનાથ દર્શન ટુર પેકેજ
તારીખ 28 એપ્રિલ-2025થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6:00 કલાકે અધ્યતન એસી વોલ્વો બસ ઉપડી, બપોરે 4:00 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.
પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. 4 હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. 7050 (ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).
સમાવેશ: GSRTCની અધ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.
વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.
નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તારીખ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે)
નડાબેટ સીમા દર્શન:
અમદાવાદથી સવારે 6:00 કલાકે ઉપડી, બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1800
વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર:
અમદાવાદથી સવારે 9:00 કલાકે ઉપડી, 11:15 કલાકે વડનગર અને 5:30 વાગ્યે મોઢેરા પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100
સમાવેશ: નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.
તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.
વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.
રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.