COVID 19 Cases in Ahmedabad: ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, અને ખાસ કરીને મેટ્રો શહેરોમાં કેસો ઝડપથી વધી રહ્યા છે. ચાર વર્ષ બાદ ફરી દેખાયેલા કોરોનાએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 70 નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 320 સક્રિય કેસ છે. આ સાથે સુરતમાં પણ મુંબઈથી પરત ફરેલા 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
દેશભરમાં કોરોનાની સ્થિતિ
હાલમાં ભારતમાં કોરોના વાયરસ (COVID-19) ના સક્રિય કેસોની સંખ્યા 4800 થી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી કોવિડ-19 થી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 નવા કેસ નોંધાયા બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4866 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ચેપને કારણે સાત દર્દીઓના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 ને કારણે 51 લોકો મૃત્યુ પામ્યા છે.
અમદાવાદમાં સંક્રમણ રોકેટ ગતિએ
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારા વચ્ચે અમદાવાદીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો છે, અને સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં દરરોજ બે આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે, જ્યાં સક્રિય કેસની સંખ્યા 107 પર પહોંચી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં 26 કોરોના કેસ અને મધ્ય ઝોનમાં 6 કેસ નોંધાયા છે. કોરોના કેસો વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સુરતમાં પણ નવા કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણ જાણે રોકેટ ગતિએ વધી રહ્યું હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. સુરતમાં પણ હવે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતના પાલ વિસ્તારમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. પ્રાથમિક વિગતો મુજબ, મુંબઈથી પરત આવેલા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને હોમ આઇસોલેટ કરીને સારવાર અપાઈ રહી છે.