Ahmedabad Demolition: ચંડોળા તળાવ પર ફરી ફરશે બુલડોઝર! આજે બીજા તબક્કામાં અઢી લાખ ચોમી દબાણ દૂર કરાશે

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી રહી છે.

Published By:

Updated:

Follow Us:

Ahmedabad Demolition: અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી રહી છે. પ્રથમ તબક્કાની સફળ કામગીરી બાદ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC) આજે એટલે કે મંગળવારથી બીજા તબક્કાનું ડિમોલિશન શરૂ કરશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

બીજા તબક્કાની આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પોલીસ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેર પોલીસના 3000 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત, 25 જેટલી એસઆરપી (રાજ્ય અનામત પોલીસ) કંપનીઓને પણ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં અંદાજે અઢી લાખ ચોરસ મીટર જેટલી જમીન પરના દબાણો દૂર કરવામાં આવશે. આ કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉના પ્રથમ તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ડિમોલિશનની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને એસઆરપીની ટુકડીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે અને જ્યાં સુધી મહાનગરપાલિકાની આ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સુરક્ષા જાળવવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને તેમનાં ગેરકાયદે બાંધકામો ખાલી કરી દેવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી AMC દ્વારા વાહનોમાં લાઉડસ્પીકર લગાવીને લોકોને 20 મે પહેલાં પોતાના મકાનો ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, જે લોકો વર્ષ 2010 પહેલાંથી અહીં રહેતા હોય અને EWS (ઈકોનોમિકલી વીકર સેક્શન) આવાસ યોજના હેઠળ મકાન મેળવવા માટે પાત્રતા ધરાવતા હોય, તેઓ દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસમાંથી જરૂરી ફોર્મ મેળવી શકે છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

સવારથી જ મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ થનાર હોવાથી, 19 મેના રોજ પણ કોર્પોરેશન દ્વારા ફરીથી જાહેરાત કરીને લોકોને તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.