Ahmedabad Demolition: અમદાવાદના શાહઆલમ પાસે આવેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીને અમદાવાદના ઈતિહાસનું સૌથી મોટું ગેરકાયદે બાંધકામ તોડવાનું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. જો કે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી આજે હાથ ધરાશે.
ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલી આ ડિમોલિશન કાર્યવાહી સામે અરજદારોએ હાઈકોર્ટમાં જણાવ્યું છે કે આ કાર્યવાહી કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ થઈ રહી છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું હજુ સુધી પુરવાર થયું નથી. અરજદારોએ દલીલ કરી છે કે પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં અને અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર ફોરેન ટ્રિબ્યુનલને છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ઘર તોડતા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નથી અને પુનર્વસનની પણ કોઈ વાત કરવામાં આવી નથી. આથી, હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી છે, જેની આજે 11 વાગ્યે સુનાવણી થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે લાંબા સમયથી બદનામ છે. આ વિસ્તારમાં આડેધડ રીતે મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. હવે આ ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી છે. ગઈકાલ રાતથી જ ચંડોળા તળાવ પાસે 50થી વધુ જેસીબી મશીનો અને મોટી સંખ્યામાં ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે 5:30 વાગ્યાથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ દ્વારા આ વિસ્તારમાંથી અગાઉ 800થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં ગુજરાત પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP અને SOGની ટીમો સહિત કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો કાફલો ચંડોળા તળાવ પાસે ખડકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ચંડોળા વિસ્તારમાં અંદાજે 500 જેટલાં મકાનો અને ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા છે.