RBI Repo Rate Cut: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra)એ બુધવાર, 9 એપ્રિલના રોજ જાહેરાત કરી કે કેન્દ્રીય બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)એ સર્વસંમતિથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડા બાદ નવો રેપો રેટ (Repo Rate) હવે 6% થયો છે. આ નિર્ણય ત્રણ દિવસની બેઠકમાં લેવાયો હતો, જે સોમવાર, 7 એપ્રિલથી શરૂ થઈ અને 9 એપ્રિલે સમાપ્ત થઈ.
ગવર્નર મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે નાણાકીય નીતિનો અભિગમ ‘ન્યૂટ્રલ’થી બદલીને હવે ‘સમાયોજનક્ષમ’ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે આગામી સમયમાં ફુગાવા અને આર્થિક વિકાસના સંતુલનને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં વધુ નરમાઈની શક્યતા રહેશે.
ફેબ્રુઆરીમાં થયો હતો પાંચ વર્ષ બાદનો પ્રથમ ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરી 2025માં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. આ નિર્ણય લગભગ પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ લેવાયો હતો, જ્યારે વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો ન હતો. તે સમયે રેપો રેટ 6.5%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો.
2024-25ની અંતિમ નાણાકીય સમીક્ષામાં લેવાયો હતો નિર્ણય
આ ઘટાડો ચાલુ નાણાકીય વર્ષ 2024-25ની અંતિમ નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીની આ બેઠકમાં RBIએ આર્થિક મંદી અને ફુગાવામાં સંભવિત નરમાઈને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.
રેપો રેટ શું છે?
પો રેટ એ વ્યાજદર છે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે. જ્યારે બેંકોને નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ પોતાના સરકારી બોન્ડ્સ ગીરવે મૂકીને RBI પાસેથી ઉધાર લે છે. આ ઉધાર પર જે વ્યાજ ચૂકવવું પડે છે, તેને રેપો રેટ કહેવામાં આવે છે.
RBI રેપો રેટ કેમ ઘટાડે છે?
જ્યારે અર્થતંત્રમાં મંદી હોય, રોકાણ ઘટે અથવા ફુગાવો નિયંત્રણમાં હોય, ત્યારે:
- RBI રેપો રેટ ઘટાડે છે જેથી બેંકો ઓછા વ્યાજે લોન લઈ શકે.
- બેંકો પણ ગ્રાહકોને ઓછા વ્યાજે લોન આપવાનું શરૂ કરે છે.
- આનાથી હોમ લોન, પર્સનલ લોન વગેરે લેવાનું સરળ અને સસ્તું બને છે.
- લોકો વધુ ખર્ચ અને રોકાણ કરે છે, જેનાથી બજારમાં માંગ વધે છે અને અર્થતંત્રને ગતિ મળે છે.
RBI રેપો રેટ કેમ વધારે છે?
- જ્યારે ફુગાવો વધે અને બજારમાં વધુ પડતું નાણાં આવી જાય, ત્યારે:
- RBI રેપો રેટ વધારે છે જેથી બેંકોને ઊંચા વ્યાજે નાણાં મળે.
- બેંકો ગ્રાહકોને વધુ વ્યાજે લોન આપવાનું શરૂ કરે છે.
- આનાથી લોન લેવાનું મોંઘું બને છે, જેનાથી લોકો ઓછું ખર્ચ કરે છે.
- બજારમાં રોકડની ઉપલબ્ધતા ઘટે છે અને ફુગાવા પર નિયંત્રણ મેળવી શકાય છે.