Gujarat Karmayogi Swastha Suraksha Yojana 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મયોગીઓ માટે એક મહત્વપૂર્ણ અને આરોગ્યલક્ષી પહેલ કરી છે. રાજ્ય સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત કર્મયોગીઓ અને તેમના પરિવારોને PMJAY-મા યોજનાની જેમ જ “G” કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
આ અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના અંદાજિત 6.40 લાખ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ, જો સારવારનો ખર્ચ રૂ. 10 લાખથી વધુ હોય અથવા સારવારની પ્રક્રિયા AB-PMJAY-મા યોજનામાં ઉપલબ્ધ ન હોય, તો નિયમો અનુસાર તબીબી ખર્ચનું રિએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલમાં રહેલી PMJAY-મા યોજનાની જેમ જ આ નવી યોજના હેઠળ તમામ કર્મયોગીઓને આવરી લેવામાં આવશે અને તેમને લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને “G” સિરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સંબંધિત કાર્યવાહી PMJAYની નોડલ એજન્સી સ્ટેટ હેલ્થ એજન્સી (SHA) દ્વારા કરવામાં આવશે.
આ કાર્ડ દ્વારા કર્મયોગીઓ સરકારી હોસ્પિટલો, સરકારી સમકક્ષ હોસ્પિટલો અને PMJAY હેઠળની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં નિયત કરેલી સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મેળવી શકશે. જો કે, આ યોજનામાં બહારના દર્દી તરીકે (OPD) લેવામાં આવતી સારવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હાલમાં કર્મચારીઓને મળતું માસિક તબીબી ભથ્થું (રૂ. 1000/-) યથાવત રહેશે.
જો સારવારનો ખર્ચ રૂ. 10 લાખથી વધુ હોય અથવા સારવારની પ્રક્રિયા AB-PMJAY-MAA યોજનામાં ઉપલબ્ધ ન હોય અને હોસ્પિટલ PMJAYમાં માન્યતા પ્રાપ્ત ન હોય, તો ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ તબીબી ખર્ચનું રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. હાલમાં PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ 2,658 હોસ્પિટલો (904 ખાનગી અને 1754 સરકારી) જોડાયેલી છે, જેમાં 2,471 નિયત કરેલી સારવાર પ્રક્રિયાઓ આવરી લેવામાં આવી છે.
આ યોજનાનો લાભ રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઈન્ડિયા સર્વિસ (AIS)ના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનો તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ તબીબી ખર્ચનું રિએમ્બર્સમેન્ટ મળે છે તે તમામને મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનર્સ મળીને કુલ 6.40 લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનો લાભ મળશે. જો કે, ફિક્સ પગારના કર્મચારીઓને હાલમાં કર્મયોગી કાર્ડ હેઠળ લાભ મળી રહ્યો છે અને 70 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સને હાલમાં શરૂ કરાયેલી વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી તેઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં.
આ યોજના અંતર્ગત અંદાજે રૂ. 303.3 કરોડનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભોગવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ રૂ. 3708નું પ્રીમિયમ ચૂકવશે.