Ahmedabad Demolition: અમદાવાદના રખિયાલમાં ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત, ગેરકાયદે નમાઝ સ્થળ અને 20 દુકાનો પર બુલડોઝર ફર્યું

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા, 20 કારખાનાઓ અને દુકાનો તોડી પાડવામાં આવી.

Published By:

Updated:

Follow Us:

Ahmedabad Demolition News: અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યા બાદ, હવે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે 15 મેના રોજ રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ નમાઝ સ્થળ અને આશરે 20 જેટલા કારખાના અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 350થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, આ જ જગ્યા પર અગાઉ વર્ષ 2008માં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ફરીથી આ જગ્યા પર દબાણો ઊભા થઈ ગયા હતા.

સવારથી જ પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન

રખિયાલના મોરારજી ચોક ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી કોમન ઓપન પ્લોટમાં 20થી વધુ ગેરકાયદેસર કારખાના અને દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાકું બાંધકામ કરીને નમાઝ અદા કરવા માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. આ તમામ બાંધકામ ગેરકાયદેસર હોવાથી આજે સવારથી જ તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આસપાસના લોકો પણ આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

વર્ષ 2008માં કાર્યવાહી બાદ ફરીથી દબાણો

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જમીન મૂળ 1960ના દાયકામાં મિલ કામદારો માટેની આવાસ યોજનાનો ભાગ હતી, જ્યાં આ બાંધકામ થયું હતું. આ યોજનામાં એક કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક લોકોએ તેના પર ગેરકાયદેસર શેડ અને અન્ય બાંધકામો ઊભા કરી દીધા હતા. અગાઉ વર્ષ 2008માં પણ આ જગ્યા પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદેસર કારખાના અને દુકાનો ધમધમવા લાગી હતી, જેના પગલે હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી એકવાર આ કાર્યવાહી કરવામાં આવી છે.

ચંડોળાની જેમ વીજળી કનેક્શન પણ ગેરકાયદે

ચંડોળા તળાવ વિસ્તારમાં જે રીતે ગેરકાયદેસર બાંધકામ ધરાવતા મકાનોમાં વીજળીના કનેક્શન મળી આવ્યા હતા, તેવી જ રીતે રખિયાલમાં પણ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા આ બાંધકામોમાં વીજળીના જોડાણો જોવા મળ્યા હતા.

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi