Rajula Accident: અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા રોડ પાસે મીરા દાતાર પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રાજુલા-જાફરાબાદ રૂટની ST બસ સાથે એક સ્વિફ્ટ કાર અને બાઇક અથડાતાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવ તરફથી આવી રહ્યા હતા.
આ અકસ્માતમાં બાઇકચાલકને પણ ઈજા પહોંચી છે, તેની બાઇક ST બસની પાછળ ઘૂસી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ST બસની સાઈડમાં આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ અને ST ડેપોના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાઈવે પર વાહનચાલકોની સલામતી માટે વધુ પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. હાલમાં પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.