કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય: સોનાના વધતા ભાવ વચ્ચે લગ્નમાં દાગીનાની લેતીદેતી પર મૂક્યો પ્રતિબંધ; લાખો રૂપિયાનો ખર્ચ ઘટશે!

દેશમાં સોનાના ભાવ વધતાં કચ્છના લોડાઈ પ્રાથરીયા આહીર સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતીદેતી પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી પરિવાર દીઠ અંદાજે ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ ઘટશે.

Published By:

Updated:

Follow Us:

Ahir Community Kutch: દેશભરમાં સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે, ત્યારે લગ્નમાં થતા મોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે કચ્છના આહીર સમાજે એક ઉમદા નિર્ણય લીધો છે. લોડાઈ પ્રાથરીયા આહીર સમાજે લગ્નમાં સોનાના દાગીનાની લેતીદેતી પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે દરેક પરિવારને અંદાજે 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ ઘટશે.

આજકાલ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ સામાન્ય બાબત બની ગઈ છે. જમણવારથી લઈને રીતરિવાજો સુધી ખર્ચનો બોજો સામાન્ય પરિવારોને ભારે પડતો હોય છે. ખાસ કરીને સોનાની લેતીદેતીમાં આર્થિક રીતે નબળા પરિવારો દેવામાં ડૂબી જતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોડાઈ પ્રાથરીયા આહીર સમાજે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સમાજના આગેવાનોનું માનવું છે કે સોનાના ભાવ આસમાને હોવાથી દરેક પરિવારને સોનાની લેતીદેતી પોસાય તેમ નથી. આ નિર્ણયથી આર્થિક રીતે સામાન્ય આહીર પરિવારો પર પડતું ભારણ ઘટશે અને તેઓ દેવામાં ડૂબતા બચશે.

આહીર સમાજ અને સોનું

આહીર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે જોડાયેલું છે, પરંતુ હાલના ભાવ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું એક સપનું બની ગયું છે. આથી સમાજે જ્ઞાતિના લોકોને વધુ પડતા ખર્ચથી બચાવવા અને આર્થિક બોજો ન વધે તે માટે આ આવકારદાયક ઠરાવ કર્યો છે. નવા પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી લઈને લગ્ન પ્રસંગો સુધી સોનાના દાગીનાની લેતીદેતી પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, સમાજના લોકોએ પ્રસંગો સિવાય સામાન્ય દિવસોમાં પણ પાંદડા અને ઝરમર જેવા હળવા દાગીના પહેરવા પડશે, અન્યથા 5.51 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આગામી 25 મેના રોજ સમાજમાં વણજોયા મુહૂર્તે લગ્ન લેવાશે, ત્યારે આ નિયમોનું પાલન કરવામાં આવશે.

જમણવારમાં ખર્ચ ઘટાડ્યો

આ સાથે જ સમાજે જમણવારમાં પણ ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે. હવેથી જમણવારમાં રોટલી, દાળ-ભાત, છાસ, પાણી, સલાડ-પાપડ સિવાય માત્ર છ વાનગીઓ જ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, જો તેનાથી વધુ વાનગીઓ રાખવામાં આવશે તો 2.51 લાખ રૂપિયાનો દંડ થશે.

વરરાજાને લગ્નમાં શેરવાની પહેરવા પર પ્રતિબંધ

પરંપરા જાળવી રાખવા માટે વરરાજાએ લગ્નમાં શેરવાની પહેરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ વરરાજા શેરવાની પહેરશે તો તેને 1 લાખ 1 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. અગાઉ સમાજમાં વાઘા પહેરીને ફેરા ફરવાની પ્રથા હતી, જેને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

પ્રિ-વેડિંગ ફોટોશૂટ પર પ્રતિબંધ

આધુનિક રીતરિવાજો જેવા કે હલ્દી-મહેંદીની રસમ અને પ્રિ-વેડિંગ ફોટોશૂટ પર પણ સમાજે પ્રતિબંધ મૂક્યો છે, જેથી સમાજની મર્યાદા અને પરંપરા જળવાઈ રહે અને ખોટા ખર્ચાઓ ટાળી શકાય. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi