Gujarat Airports Update: રાજકોટ-જામનગર એરપોર્ટ ફરી ઉડાન શરૂ, મુસાફરોને મોટી રાહત

ભારત-પાકિસ્તાન તણાવ ઘટતાં ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે રાહત. રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જામનગર એરપોર્ટ, 10 મેથી બંધ હતા, તે 12 મેથી ફરી શરૂ થયા.

Published By:

Updated:

Follow Us:

Rajkot International Airport

Gujarat Airports News: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ઘટાડો થતાં અને યુદ્ધવિરામના સમાચાર આવતા જ ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટી રાહત જોવા મળી છે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકને પગલે 10 મેના રોજ બંધ કરવામાં આવેલા રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જામનગરનું એરપોર્ટ આજે, 12 મેથી ફરી શરૂ થઈ ગયા છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેસેન્જર ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવતા, આ બંને એરપોર્ટ નિર્ધારિત સમય કરતાં બે દિવસ વહેલાં જ કાર્યરત થઈ ગયા છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં ફ્લાઇટ બુકિંગ શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ફ્લાઇટ્સ નિયમિત રીતે ઉડાન ભરતી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુન્દ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટને 14 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સ્થિતિમાં સુધારો થતાં હાલ પૂરતું રાજકોટ અને જામનગર એરપોર્ટને તાત્કાલિક અસરથી ખોલી દેવામાં આવ્યા છે.

જ્યારે ભુજ અને કંડલા એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે. પોરબંદર, નલિયા, મુન્દ્રા અને કેશોદ એરપોર્ટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. યુદ્ધવિરામ બાદ સ્થિતિ સામાન્ય થતાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રદ કરાયેલી રજાઓ અંગે પણ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ ઊપડતી 10 ફ્લાઇટ્સ રદ થવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 3200થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેન, બસ અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ થતાં હવે આ મુસાફરોને મોટી રાહત મળશે. રાજકોટથી મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને ગોવા જતી ઇન્ડિગોની અને મુંબઈ તથા દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

યુદ્ધના તણાવ વચ્ચે બંધ કરવામાં આવેલું જામનગર એરપોર્ટ પણ આજથી પ્રવાસીઓ માટે ફરી ધમધમતું થયું છે. હવે અહીંથી પણ દરરોજ રાબેતા મુજબ વિમાનો ઉડાન ભરશે, જેનાથી સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને મોટી સગવડ મળશે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi