Ahmedabad Rain: અમદાવાદમાં કમોસમી વરસાદનો કહેર, રાતભરના વરસાદથી જળબંબાકાર

અમદાવાદ શહેર કમોસમી વરસાદને કારણે ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગઈકાલ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે.

Published By:

Updated:

Follow Us:

Ahmedabad Rain Update: અમદાવાદ શહેર કમોસમી વરસાદને કારણે ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગઈકાલ રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી અને મકરબા જેવા મુખ્ય અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે આજે સવારથી જ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેજલપુર, શિવરંજની ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કંટ્રોલ રૂમના આંકડા દર્શાવે છે કે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં જોધપુર ઝોનલ ઓફિસ વિસ્તારમાં સૌથી વધુ 89 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બોડકદેવમાં 64.9 મીમી અને દાણાપીઠ વિસ્તારમાં 44 મીમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ 44.84 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વધુ 27.14 મીમી વરસાદ પડ્યો હતો.

વરસાદના કારણે વાસણા બેરેજમાં પાણીની સપાટી વધીને 133.5 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના પગલે બેરેજનો ગેટ નંબર 2 ખોલવાની ફરજ પડી છે.

જો કે, બપોર સુધીમાં વરસાદનું જોર ઘટતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યું હતું, પરંતુ આકાશ હજી પણ વાદળછાયું રહેતાં વધુ વરસાદની શક્યતા યથાવત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 5 થી 6 દિવસમાં શહેરમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે AMC તંત્ર અને શહેરીજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.