GSRTC Extra Bus for Summer Vacation 2025: ઉનાળાના વેકેશનમાં ગુજરાતના નાગરિકોને ફરવાનો ભરપૂર આનંદ મળે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમે મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નિગમની યાદી અનુસાર, વેકેશન દરમિયાન મુસાફરોને સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું છે.
કયા રૂટ પર કેટલી બસો દોડશે?
- સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપો
- સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 ટ્રીપો
- દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 ટ્રીપો
- દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 300 ટ્રીપોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
- આ ઉપરાંત, એસ.ટી. નિગમ ગુજરાતમાંથી પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનું સંચાલન કરશે.
ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે વિશેષ બસો
રાજ્યના નાગરિકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત:
- અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રીપ
- અમદાવાદથી ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રીપ
- અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે રોજની 5 ટ્રીપ
- અમદાવાદથી દીવ અને કચ્છના પ્રવાસ માટે રોજની 10 બસોની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાજ્ય મુસાફરી માટે સુવિધા
આંતરરાજ્ય પ્રવાસ માટે પણ એસ.ટી. નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ અને મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.