જૂનાગઢમાં મેગા ડિમોલિશન: ઉપરકોટ નજીક 59થી વધુ ગેરકાયદેસર મકાનો સહિત આઠ અસામાજિક તત્વોના ઘરો તોડી પડાયા, 400થી વધુ સ્ટાફ તૈનાત

Junagadh Mega Demolition: ઉપરકોટ કિલ્લા નજીક આઠ આસામાજિક તત્વો સહિત 59થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા, 400થી વધુ સ્ટાફ તૈનાત.

Follow Us:

junagadh-demolition

Junagadh Demolition: આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 59 જેટલાં ગેરકાયદેસર મકાનો તોડી પાડીને આશરે 16,000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત લગભગ 50 કરોડ રૂપિયા હોવાનું વહીવટી તંત્રનું કહેવું છે. 10 JCB અને 10 ટ્રેક્ટરો સહિતનાં યાંત્રિક સાધનો સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. જેમાં 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવશે. આ ડિમોલિશન કામગીરીમાં આઠ અસામાજિક તત્વોનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશનનું કામ

એક બાજુ અમદાવાદમાં ચાંદલોડિયામાં ઇતિહાસનું સૌથી મોટું તોડફોડનું કામ ચાલી રહ્યું છે. ગત 28મી એપ્રિલની મોડી રાત્રે જ પોલીસની ગાડીઓ અને 50 જેટલા જેસીબી મશીનો લઈને AMC વાળા આવી ગયા હતા. પછી 29મી એપ્રિલની સવારે સાત વાગ્યાથી ગેરકાયદેસર બાંધકામો તોડવાનું ચાલુ કર્યું હતું. આખો દિવસ આ કામ ચાલ્યું હતું. અને આજે સવારે પાછું ચાંદલોડિયા તળાવના એરિયામાં ડિમોલિશનનું કામ શરૂ થઈ ગયું છે. આ કામ આજનો દિવસ એટલે કે 30મી એપ્રિલ અને કાલનો દિવસ એટલે કે પહેલી મે સુધી ચાલશે.

નોટિસ છતાં દસ્તાવેજો રજૂ ન કરાયા: જૂનાગઢ જિલ્લા કલેક્ટર

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસીયાએ જણાવ્યું કે, ધારાગઢ વિસ્તારમાં સિટી સર્વે નં. 1484 હેઠળની 14,000 ચોરસ મીટર સરકારી જમીન પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો અને વસવાટ ચાલતો હતો. તંત્રે દબાણકારોને નોટિસ આપી, દસ્તાવેજો રજૂ કરવાની પૂરતી તક આપી હતી. જોકે, કોઈ અધિકૃત દસ્તાવેજો રજૂ ન થતાં, આયોજિત યોજના હેઠળ કાર્યવાહી હાથ ધરવી પડી, એમ કલેક્ટરે જણાવ્યું.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટે નથી, પરંતુ કાયદાનું પાલન, હક્ક અને ન્યાયની સ્થાપના માટેનો નમ્ર અને દૃઢ પ્રયાસ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પોલીસ તપાસમાં આ વિસ્તારના કેટલાક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તંત્ર અસામાજિક તત્વો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવે છે અને ભવિષ્યમાં પણ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

400થી વધુ સ્ટાફ અને પોલીસ જવાનો તૈનાત

મેગા ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 DySP, 9 PI, 26 PSI સહિત 260 પોલીસ જવાનો અને 400થી વધુ સ્ટાફ તૈનાત કરાયા છે. ડ્રોન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, PGVCL, આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે.

જિલ્લા અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે…

જિલ્લા અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, ધારાગઢ વિસ્તારમાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયેલા છે. તંત્રે અગાઉ નોટિસો આપી, મકાનમાલિકોને દાવો પુરવાર કરવાનો સમય આપ્યો હતો. પ્રથમ તબક્કામાં આજે 59 મિલકતો સામે કાર્યવાહી કરાઈ. વહીવટી દસ્તાવેજો અનુસાર આ જમીન સરકારી માલિકીની છે. ભવિષ્યમાં બાકી દબાણો સામે પણ કાયદેસર અને નિષ્પક્ષ રીતે, જાતિ ભેદભાવ કે અન્યાય વિના, કાર્યવાહી કરવાની તૈયારી છે.

ધારાગઢમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી

DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, ઉપરકોટ નજીક ધારાગઢ દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે, અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ડિમોલિશન કાર્ય ચાલી રહ્યું છે. દૂર કરાયેલા દબાણોમાં આઠ અસામાજિક તત્વો સંડોવાયેલા હતા, જેમના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે.

20 વર્ષથી વસવાટ કરું છું, હવે અમે ઘર વગર ક્યાં જઈશું?

જૂનાગઢ મનપાની ડિમોલિશન કામગીરી દરમિયાન અનેક પરિવારો પોતાના ઘર તૂટતાં ભાવુક થઈ ગયા. ઘણા લોકોએ રડતાં તંત્ર સામે વેદનાભર્યો રોષ વ્યક્ત કર્યો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, “હું 20 વર્ષથી અહીં રહું છું, વીજળી અને પાણીના બિલ નિયમિત ચૂકવું છું. અમારું ઘર ગેરકાયદેસર કેવી રીતે ગણાયું, તે સમજાતું નથી. હવે ઘર વિના ક્યાં જઈશું?”

દર્દભરી વાત કરતા નઝમાબેન પઠાણે જણાવ્યું હતું કે,

નઝમાબેન પઠાણે દર્દભર્યા શબ્દોમાં કહ્યું, “50 વર્ષથી અહીં રહીએ છીએ. તંત્રે માત્ર પાંચ દિવસ પહેલાં નોટિસ આપી. અમે મજૂરી કરીએ છીએ, રોજની કમાણીથી ગુજારો કરીએ છીએ. હવે મકાન તોડી નાખ્યું, રહેવાની જગ્યા નથી, ભાડે પણ કોઈ મકાન આપતું નથી. સરકારને અમારા પર દયા નથી તો મારી નાખે, પણ અમે અમારું સ્થાન છોડીશું નહીં.”

મોટા બિલ્ડરો પર બુલડોઝર નથી ચાલતા, માત્ર ગરીબોની જ જીંદગી તોડવામાં આવે છે

સ્થાનિક ઇદરીશભાઈ પટ્ટીએ કહ્યું, “ધારાગઢ વિસ્તારના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે. અહીં ગરીબ પરિવારો રહે છે, પણ તંત્રને ફક્ત ગરીબોની ઝૂંપડીઓ જ દેખાય છે. શહેરમાં 135 બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામોને નોટિસો અપાઈ, પણ ત્યાં બુલડોઝર જતા નથી. માત્ર ગરીબોની જિંદગી જ તોડવામાં આવે છે.”

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi