Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના કરુણ મોત થયા છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યા છે, જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, પહેલગામમાં થયેલા આ આતંકવાદી હુમલામાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારના રહેવાસી યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મોત થયું છે. આ ઉપરાંત, સુરતના રહેવાસી શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયા પણ આ હુમલામાં માર્યા ગયા છે.
ગઈકાલે, 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે સુરતના યુવકના મોતની પુષ્ટિ થયા બાદ, આજે સવારે ભાવનગરના પિતા-પુત્રના મોતની પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને આજે ગુજરાત લાવવામાં આવશે. આર્મીના વિશેષ વિમાન દ્વારા ત્રણેય મૃતદેહોને ગુજરાત લાવવામાં આવશે અને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.