RBI Rules For Minor Accounts: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશની તમામ બેંકોને એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. હવેથી 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના સગીર બાળકો પણ સ્વતંત્ર રીતે પોતાનું બચત ખાતું (Saving Account) અથવા ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું (Fixed Deposit Account) ખોલાવી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે. RBI દ્વારા સગીરોના ડિપોઝિટ ખાતા ખોલવા અને તેના સંચાલન અંગે સુધારેલી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
RBIએ કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોઈપણ ઉંમરના સગીરોને તેમના કુદરતી અથવા કાયદેસરના વાલી દ્વારા બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ ખાતા ખોલવાની અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. એટલું જ નહીં, સગીરની માતાને પણ વાલી તરીકે રાખીને આવા ખાતા ખોલાવી શકાશે.
ખાસ વાત એ છે કે ઓછામાં ઓછા 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના સગીર હવે પોતાની મરજીથી સ્વતંત્ર રીતે બચત અથવા ટર્મ ડિપોઝિટ ખાતું ખોલાવી શકશે અને તેનું સંચાલન પણ કરી શકશે. જો કે, બેંક પોતાની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને આ ખાતામાં જમા અને ઉપાડની રકમ તેમજ અન્ય શરતો નક્કી કરી શકે છે. આ અંગેના તમામ નિયમો અને શરતો ખાતાધારકને સ્પષ્ટપણે જણાવવામાં આવશે.
ઈન્ટરનેટ બેંકિંગ, એટીએમ અને ચેક બુકની પણ સુવિધા
આ ઉપરાંત, RBIએ બેંકોને સગીર ખાતાધારકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેક બુક જેવી વધારાની સુવિધાઓ પૂરી પાડવા માટે પણ સ્વતંત્રતા આપી છે. જો કે, આ સુવિધાઓ બેંકની પોતાની જોખમ વ્યવસ્થાપન નીતિ, ઉત્પાદન અને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
RBIએ સ્પષ્ટ સૂચના આપી છે કે બેંકોએ એ વાતની ખાતરી કરવી પડશે કે સગીરોના ખાતા, પછી ભલે તે સ્વતંત્ર રીતે ચલાવવામાં આવે કે વાલીઓ દ્વારા, ક્યારેય ઓવરડ્રો ન થાય અને તેમાં હંમેશા પૂરતું ભંડોળ રહે.
કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું છે કે, બેંકો સગીરોના જમા ખાતા ખોલવા માટે ગ્રાહકની યોગ્ય ઓળખ પ્રક્રિયા (KYC)નું પાલન કરશે અને તે ચાલુ રાખશે. RBIએ તમામ બેંકોને 1 જુલાઈ, 2025 સુધીમાં આ સુધારેલી ગાઈડલાઈન અનુસાર નવી નીતિઓ બનાવવા અથવા તેમની હાલની નીતિઓમાં જરૂરી ફેરફાર કરવા જણાવ્યું છે. RBIના આ નિર્ણયથી હવે 10 વર્ષથી મોટા બાળકોને નાની ઉંમરમાં જ બેંકિંગની પ્રક્રિયા અને નાણાકીય વ્યવસ્થાપન શીખવામાં મદદ મળશે.