Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આગામી 17 એપ્રિલ સુધી યલો એલર્ટ યથાવત રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 17 એપ્રિલ સુધી કચ્છ અને બનાસકાંઠામાં હજુ પણ ગરમીનું જોર જોવા મળી શકે છે, તેથી આ બે જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો કે, હવામાન વિભાગે આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે, 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી રાજ્યમાં કોઈ ભારે ગરમીની ચેતવણી નથી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની અને લોકોને ગરમીથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે. આ સમાચારથી ગરમીથી પરેશાન લોકોને થોડી શાંતિનો અનુભવ થશે.